બનાવના પગલે પોલીસે ધટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી..

પાટણ તા. 3
પાટણ શહેરના ઘીમટા નાકાથી સાગરના ઉપાશ્રય સુધીના વિસ્તારમાં ગત રાત્રિએ ચોરીની ઘટનાઓ બની હતી. અજાણ્યા તસ્કરોએ આ માર્ગ પર આવેલા ત્રણ મકાનો અને બે પાર્લરના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ચોરોએ કલ્પેશભાઈ શાહના મકાનનો નકુચો તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મુખ્ય દરવાજો ન તૂટતા તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ મકાનમાં ચોરી થતા બચી ગઈ હતી.
આ મકાનની સામે આવેલું ઉપાશ્રયનું બંધ મકાન અને તેની બાજુમાં આવેલું અન્ય એક બહારથી લોક કરેલું મકાન પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા, જેના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો.

તસ્કરોએ વિસ્તારમાં આવેલા બે પાર્લરને પણ નિશાન બનાવ્યા હતા. મનીષ છગનલાલ શાહની શંખેશ્વર પાર્શ્વનાથ પાર્લર નામની દુકાનમાંથી પરચુરણ, ચોકલેટ-ગોળીઓ અને બિસ્કિટના પેકેટની ચોરી થઈ હતી. જ્યારે ભોગીલાલ જે.રામીની દુકાનમાંથી જૂના એન્ટિક સિક્કા, લોનના હપ્તા ભરવા માટે રાખેલા આઠથી દસ હજાર રૂપિયા
ની પરચુરણ રોકડ રકમ તેમજ સોપારીના જથ્થાની ચોરી થઈ હતી.

ભોગ બનનાર અનિલભાઈએ જણાવ્યું હતું કે સવારે તેમના મિત્રએ ફોન દ્વારા તાળું તૂટ્યું હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ ઘટના સ્થળે આવી તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલાએ ઘટના સ્થળની મુલાકાત લઈને તપાસ શરૂ કરી છે. જોકે, કુલ કેટલી કિંમતની ચોરી થઈ છે તેનો ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી.




