૧૩૫ પાટણવાડા વણકર સમાજનું સંયુક્ત બંધારણ યથાવત્ રાખવા આગેવાનોનો એકસ્વર, સમાજ એકતા માટે 14 જૂને મહેસાણામાં મહાસભાનું આહ્વાન

મહેસાણા-ચાણસ્મા હાઇવે પર આવેલ શ્રી રામદેવપીર મંદિર, છઠિયારડા મુકામે ૧૩૫ પાટણવાડા વણકર સમાજ સંયુક્ત બંધારણ પરગણાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમાજને લગતી વિવિધ અરજીઓનું વાંચન કરવામાં આવ્યું તેમજ અનેક સામાજિક પ્રશ્નો અને મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
સમાજના કેટલાક આગેવાનોની ગેરહાજરીને કારણે કોઈ મહત્વપૂર્ણ ઠરાવ કે મોટી કાર્યવાહી કરવામાં આવી નહોતી. સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે સમાજના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં જ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે.
બેઠક દરમિયાન ઉપસ્થિત આગેવાનો, વડીલો અને સમાજ એકતાના હિતેચ્છુઓએ 135 પાટણવાડા વણકર સમાજના સંયુક્ત બંધારણને યથાવત્ જાળવી રાખવા તથા સમાજમાં ભાઈચારો અને સંગઠનની ભાવના વધુ મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. સમાજની એકતા જ સમાજની સૌથી મોટી શક્તિ હોવાનું મત વ્યક્ત કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે સામાજિક આગેવાન અને બિલ્ડર રમેશભાઈ મકવાણા (ગોવના) દ્વારા સમાજની એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે યુવા અગ્રણી અને બિલ્ડર મેહુલભાઈ વાઘેલા (બાલીસણા) દ્વારા આગામી તારીખ ૧૪-૦૬-૨૦૨૬ના રોજ સિદ્ધાર્થ હાઇસ્કૂલ, મહેસાણા ખાતે યોજાનારી સમાજ એકતા બેઠકમાં તમામ ગામોના આગેવાનો, યુવાનો અને સમાજજનોને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે સમાજના ભવિષ્ય, વિકાસ અને સંગઠનની મજબૂતી માટે દરેક વ્યક્તિની સક્રિય ભાગીદારી જરૂરી છે. સમાજને એક સૂત્રમાં બાંધવા માટે યોજાતી બેઠકોમાં વધુમાં વધુ સમાજજનો જોડાય તે સમયની માંગ છે.

સમાજ એકતા અને ભાઈચારાના પ્રતિકરૂપે શ્રી રામદેવપીર મંદિર પરિસરમાં વડના વૃક્ષનું રોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક આગેવાન, બિલ્ડર રમેશભાઈ મકવાણા, યુવા અગ્રણી, બિલ્ડર મેહુલભાઈ વાઘેલા સહિત અનેક આગેવાનો અને યુવા મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બેઠકમાં ઉપસ્થિત યુવાનોએ સમાજની એકતા, વિકાસ અને આગામી પેઢીને સંગઠનનો મજબૂત વારસો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અંતે ૧૪ જૂને મહેસાણા ખાતે યોજાનારી ૧૩૫ પાટણવાડા વણકર સમાજ એકતા બેઠકમાં ઉપસ્થિત રહી પોતાના સૂચનો અને અભિપ્રાયો રજૂ કરવા તમામ સમાજજનોને આહ્વાન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બેઠકમાં ઉપસ્થિતિ મર્યાદિત હોવા છતાં સમાજ એકતાના અભિયાન સાથે જોડાયેલા યુવાનોનો ઉત્સાહ અને ભાગીદારી નોંધપાત્ર રહી હતી, જે સમાજના ઉજ્જવળ અને એકતામય ભવિષ્ય માટે સકારાત્મક સંકેત હોવાનું ૧૩૫ પાટણવાડા વણકર સમાજના યુવા કાર્યકર ચેતન સાલવી અને મનોજ પરમાર સરાય, પાટણ એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here