વાડીયોવાસ મિત્ર મંડળ દ્વારા પદ્મનાભ મંદિર ના પ્રમુખ ટ્રસ્ટી તેમજ સ્વામી પરિવારના પ્રમુખ નું શાલ- બુકે થી સન્માન કરાયું…
પાટણ તા. ૨૯
ધર્મની નગરી પાટણ શહેરમાં અનેક ધર્મના તહેવારો ભક્તિસભર માહોલમાં ઉજવવામાં આવતા હોય છે.ત્યારે પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની વાડી પરિસરમાં બિરાજમાન જગત જનની જગદંબાના મંદિર પરિસર ખાતે વાડીયોવાસ મિત્ર મંડળ દ્વારા ભાદરવા સુદ છઠ્ઠ ને શુક્રવારના પવિત્ર દિવસે હવન-યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી અંબાજી માતાજીના સન્મુખ આયોજિત કરાયેલા હવન-યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગોમાં વાડીયોવાસ મિત્ર મંડળના પરિવારજનો સહિત પાટણ પ્રજાપતિ સમાજના માઈભક્તો એ ઉપસ્થિત રહી દશૅન- પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
હવન યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ જગદીશ મંદિરના પુજારી કનુભાઈ શુકલ સહિત ના ભૂદેવો દ્રારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે વાડીયોવાસ મિત્ર મંડળ દ્વારા શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટના નવનિયુક્ત ટ્રસ્ટી પ્રમુખ યશપાલ સ્વામી અને સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી નું શાલ- બુકે થી સન્માન કરી તેઓની વરણીને આવકારી શ્રી પદ્મનાભ મંદિર ના વિકાસ કાર્યો ને વેગવંતા બનાવવાની અભિલાષા વ્યકત કરી હતી.



