વહેલી સવારથી જ શ્રદ્ધાળુ મહિલાઓ અને ભક્તોની ભીડ મંદિર પરિસર ખાતે જામી…

પાટણ તા. ૨૪
પાટણના પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં સ્થાપિત દશામા શક્તિપીઠ ખાતે શ્રાવણ વદ અમાસ ને ગુરૂવારથી દશામાના દશ દિવસ ના વ્રતનો ભક્તિ
મય માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ શ્રદ્ધાળુ મહિલાઓ અને ભક્તોની ભીડ મંદિર પરિસર ખાતે જામી હતી.

વ્રતધારી મહિલાઓએ પોતાના ઘરે બાજોઠ પર લાલ કાપડ મૂકી દશામાની મૂર્તિનું સ્થાપન કરી કળશ પર આસોપાલવના પાંચ પાન મૂકી, સૂતરના દસ તાંતણાની દસ ગાંઠ વાળી બાંધી પૂજન કર્યું હતું. મહિલાઓએ મૈયાની મૂર્તિ પર કંકુ, અબીલ-ગુલાલ, શ્રીફળ સહિત વિવિધ પ્રસાદ ની ભેટ ધરી પરિવાર ની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરી હતી.
સિધ્ધનાથ મહાદેવ મંદિરના પૂજારી શૈલેષભાઈ આતુભાઈ રાવલે જણાવ્યું હતું કે દશામાના વ્રતથી પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે. દશ દિવસીય આ વ્રત દરમિયાન દશામા શક્તિપીઠ નજીકના મેદાનમાં મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
છેલ્લા દિવસે માતાજીની મહાઆરતી કરવામાં આવશે.અને મંદિર પરિસરમાં કુડ બનાવી દશા માતાની મૂર્તિઓને વિધિસર વિસૅજીત કરવામાં આવશે.



