પાટણ:
પાટણ ખાતે રહેતા અને મૂળ આદિવાડાના વતની ગંગાબેન દેસાઈના પરિવાર દ્વારા ગત શુક્રવારે સાંજે એક પારિવારિક શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અને મંગલમય પ્રસંગે આદિવાડા ગામનું ગૌરવ વધારનાર બે જાણીતી પ્રતિભાઓનું વિશેષ સન્માન કરી સામાજિક ગૌરવની સરવાણી વહાવી હતી.
કાર્યક્રમ દરમિયાન પાટણના જાણીતા તબીબ અને વર્ષોથી દર્દીઓની અવિરત સ્વાસ્થ્ય સેવા કરતા ડૉ. કાનજીભાઈ રબારી તેમજ પાટણ નગરપાલિકાના સદસ્ય ડૉ. બાબુભાઈ પ્રજાપતિનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભેર બહુમાન કરવામાં આવ્યું હતું.
સમાજના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ
આ ધાર્મિક અને સામાજિક મિલન સમાન પ્રસંગે સેવાળા પરિવારના અગ્રણી શ્રી બાબુભાઈ દેસાઈ, કૌશિક દેસાઈ, કમલેશભાઈ દેસાઈ તેમજ આદિવાડા ગામના શ્રી અમથાભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ સહિત સમાજના અન્ય મોભીઓ, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત તમામ મહાનુભાવો, આગેવાનો ભાઈઓ અને બહેનોએ સન્માનિત થનાર બંને પ્રતિભાઓને શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ તેમના દ્વારા સમાજ અને જનસેવા ક્ષેત્રે આપવામાં આવેલા અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું.




