સયાજી મહારાજના ૧૫૯માં જન્મ દિવસે તા.૧૧મીથી પ્રારંભ : આઝાદી કા અમૃત પર્વની થીમ
૩૧ શૈક્ષણિક પ્રોજેક્ટ અને ૧૨૦ જેટલી સાંસ્કૃતિક કૃતિઓ રજુ થશે
કોરોના કાળમાં બે વર્ષના વિરામ બાદ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત થાય તે હેતુથી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ૪૯મો ત્રિ દિવસીય બાળ મેળાનો તા.11થી પ્રારંભ થશે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા પદાધિકારીઓ દ્વારા પહેલા મેગા આયોજન રૂપે સયાજી જયંતિથી વિવિધતાસભર બાળમેળા નું સયાજીબાગમાં આયોજન કરવામાં આવ્યું છે. સયાજી મહારાજે આ બાગ વડોદરાની બાળ સંપદાને અર્પણ કર્યો છે. એટલે તેમની ૧૫૯ જન્મ જયંતી નિમિત્તે બાળ મેળાનું આયોજન થયું છે. તેને મેયર કેયુર રોકડિયા, રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકશે. તેની થીમ આઝાદી કા અમૃત પર્વની રહેશે. એમ સમિતિ અધ્યક્ષ હિતેશ પટની એ જણાવ્યું હતું.
આ મેળાની અંદાજે ચાર થી પાંચ લાખ લોકો મુલાકાત લેશે.
બાળ મેળામાં ૧૨૦ સાંસ્કૃતિક કૃતિઓ બાળકોને સ્વતંત્રતા સંગ્રામ અને તેના મહત્વથી વાકેફ કરશે. સયાજીરાવ ના પ્રજાલક્ષી કામોની ઝલક જોવા મળશે. શીઘ્ર ચિત્ર સ્પર્ધા કલ્પનાશીલતાને ઉત્તેજન આપશે. ૩૧ શૈક્ષણિક પ્રોજેક્ટ જ્ઞાનોદય પ્રેરક બની રહેશે. સુરક્ષા માટે ૩૬ જેટલા સી.સી.ટીવી નું નેટવર્ક રખાશે. અંદાજે રૂ.૩૫ લાખના ખર્ચે આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં બાળ પ્રમુખ તરીકે નીતિ સોલંકી અને બાળ ઉદઘોષક તરીકે કપિલ કાવઠિયા રહેશે.
મનીષ જોષી “મૌન” વડોદરા દ્વારા



