પાટણ,
હાલ પવિત્ર અધિક માસ (પુરુષોત્તમ માસ) ચાલી રહ્યો છે, જેને પ્રભુની અધિક ભક્તિ અને સેવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ધાર્મિક પર્વ નિમિત્તે પાટણ શહેરના ત્રણ દરવાજા પાસે આવેલી સુપ્રસિદ્ધ બાલકૃષ્ણ લાલજી યાને માજી મહારાજ હવેલી ખાતે પ્રભુને રીઝવવા માટે વિવિધ દિવ્ય મનોરથોનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે.


પ્રભુ ભક્તિ માટે શ્રેષ્ઠ છે પુરુષોત્તમ માસ
શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, અધિક માસ ભલે માંગલિક કાર્યો માટે વર્જિત ગણાતો હોય, પરંતુ કૃષ્ણ પ્રભુની અધિક ભક્તિ, સેવા, સત્સંગ અને મનોરથ કરવા માટે આ સમય સર્વોત્તમ છે. ભગવાન શ્રીકૃષ્ણના નામ જપ અને કીર્તન દ્વારા પ્રભુના ગુણગાન ગાઈને તેમને પ્રસન્ન કરવાનું આ માસમાં વિશેષ મહત્વ છે.


ઉષ્ણકાળમાં શીતળતા અર્થે અનોખા મનોરથ
હાલ ઉષ્ણકાળ (ગ્રીષ્મ ઋતુ) ચાલી રહ્યો હોવાથી, ઠાકોરજીને શીતળતા અને સુખ પ્રાપ્ત થાય તે હેતુથી હવેલીમાં હરરોજ નિતનવા મનોરથ મનોહર રીતે યોજાય છે. જેમાં અત્યાર સુધીમાં અને આગામી દિવસોમાં:
- યમુનાજીમાં ઝૂલો
- સફેદ ઘટા અને ખસખાના નો મનોરથ
- નાવ મનોરથ
- માનસી ગંગા અને પુષ્પવિતાન મનોરથ
- શરદ ઉત્સવ, અન્નકૂટ તેમજ કેરી મનોરથ
જેવા વિવિધ ભવ્ય મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે.



દર્શન કરી વૈષ્ણવો ધન્યતા અનુભવી રહ્યા છે
બાલકૃષ્ણ લાલજીના આ મનમોહન સ્વરૂપ અને દિવ્ય મનોરથોના દર્શન કરવા માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ-બહેનો હવેલીએ આવી રહ્યા છે. ઠાકોરજીની આ ઝાંખી નિરખીને ભક્તો પરમ આનંદ અને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. આ તમામ મનોરથોને સફળ બનાવવા અને ઠાકોરજીના સુખ-સેવાનું વિશેષ ધ્યાન રાખવા માટે હવેલીના મુખ્યાજી, ટ્રસ્ટીગણ તેમજ સેવાધારી વૈષ્ણવો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.




