પૂર્વ પ્રદેશ મહામંત્રી(ભાજપ) અને હુડકો ભારત સરકારના ડિરેકટર કે.સી.પટેલ તેમજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી યશપાલભાઈ સ્વામી સહિત રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા
મંત્રી પ્રવીણ માળીએ પદ્મનાભ મંદિર પરિસર આસપાસ લીલોતરી અને પ્રાકૃતિક સૌંદર્ય વધારવા માટે વન વિભાગને કર્યા સૂચન…


પાટણના પ્રસિદ્ધ પદ્મનાભ મંદિર, જે “રેતીના ભગવાન” તરીકે જાણીતા છે, જ્યાં સાત દિવસ સુધીનો રાત્રિમેળાનું આયોજન કરવામાં વે છે. આ મેળો લોકપ્રિય રીતે રેવડિયા મેળા તરીકે ઓળખાય છે. ચાલુ સાલે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મંત્રી પ્રવીણ માળીએ આ પ્રસંગે જણાવ્યું કે મંત્રી બન્યા પછી પ્રથમવાર પાટણની મુલાકાત અને પદ્મનાભ ભગવાનના દર્શનનો લ્હાવો મળ્યો એ બાબતે તેઓ આનંદ અનુભવે છે. તેમણે જણાવ્યું કે માટીના ઢગને ભગવાન પદ્મનાભ સ્વરૂપે પૂજવાની પરંપરા લોકઆસ્થા અને શ્રદ્ધાનું અનોખુ પ્રતીક છે. મેળામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાઇ રાત્રિ મેળાનો આનંદ માણતા હોય છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે અહીં દર વર્ષે લોકો ઈકો ટુરિઝમ અને સ્પિરિચ્યુઅલ ટુરિઝમના ભાગરૂપે મેળો માણવા આવે છે. તેથી મંદિર પરિસર આસપાસ લીલોતરી અને પ્રાકૃતિક સૌંદર્ય વધારવા માટે વન વિભાગને સૂચના આપવામાં આવી છે. જેથી ભાવિકો પ્રકૃતિના સાક્ષી બનીને ઈકો ફ્રેન્ડલી વાતાવરણમાં ભગવાનના દર્શન કરી શકે.
આ પ્રસંગે પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ, ટ્રસ્ટીઓ, હોદેદારો અને કાર્યકરો સહિત અનેક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.



