કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાના અદમ્ય સાહસ અને બલિદાનને બિરદાવતાં કેબિનેટ મંત્રી…

પાટણ તા. ૨૬
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિધ્ધપુર ખાતે શનિવારે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત મિની મેરેથોન યોજાઈ હતી.
આ મેરેથોનને કેબિનેટમંત્રી બલવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. કારગિલ યુદ્ધના શહીદોની શૌર્યગાથાને યાદ કરવા અને યુવાનોમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરવાના ઉદ્દેશ્યથી આ મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેરેથોન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીથી એલ.એસ. હાઈસ્કૂલ, સિદ્ધપુર સુધી યોજાયેલી મેરેથોનમાં સિદ્ધપુરતાલુકાની વિવિધ શાળાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો.આ મેરેથોનમાં ભાગ લેનાર સૌએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને દેશભક્તિના નારા લગાવ્યા હતા.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજનો દિવસ રાષ્ટ્રગૌરવ અને બલિદાનને નમન કરવાનો દિવસ છે. કારગિલ વિજય દિવસના 26 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા આયોજિત “મીની મેરેથોન” માં ઉત્સાહ અને ઉર્જા સાથે સૌ લોકો અને વિધાર્થીઓ જોડાયા છે. કારગિલ યુદ્ધમાં દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શૂરવીર શહીદોના બલિદાનને હું વંદન કરું છું. આપણી યુવા પેઢી માટે મેરાથોન માત્ર શારીરિક કસરત નહીં, પણ શિસ્ત, દૃઢ નિશ્ચય, દેશપ્રેમ અને ટીમ વર્ક ગુણવત્તાઓ વિકસાવવનું ઉત્તમ સાધન છે.
આ મેરોથન સ્વસ્થ જીવનશૈલી તરફ પગલું છે. જેના લીધે યુવાનોમાં સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે તેમ જણાવી મંત્રીએ કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાના અદમ્ય સાહસ અને બલિદાનને બિરદાવ્યા હતાં.
આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પટેલ, સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા



