વિશ્વ રેડ ક્રોસ દિવસ નિમિત્તે પાટણમાં પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન

તપસ્વી અરવિંદભાઈ પટેલ રેડ ક્રોસ ભવન ખાતે ચાલતા સ્વ રસિકલાલ કાનજીભાઈ પટેલ (રાધનપુર) ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે સાપ્તાહિક નિશુલ સેવા આપવામાં આવશે.

આ વિશેષ દિવસથી સાત દિવસ સુધી પાટણ રેડ ક્રોસ ભવન કેન્દ્ર નિશુલ્ક નિદાન કરવામાં આવશે.

પાટણ:
તારીખ ૮ મેના રોજ ‘વિશ્વ રેડ ક્રોસ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, પાટણ જિલ્લા શાખા દ્વારા એક પ્રશંસનીય માનવતાવાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વધતી જતી ગરમીના તાપમાં તરસ્યા પક્ષીઓને રાહત મળી રહે તે હેતુથી સંસ્થા દ્વારા પાટણ બગવાડા’ દરવાજા નજીક પાણીના કુંડા વિતરણ’ કાર્યક્રમ તેમજ ડોક્ટર મોહનભાઈ એસ પટેલ બ્લડબેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમજ પાટણ લાલ દરવાજા પાસે આવેલ વેદાંત કીમ્યો થેરાપી સેન્ટર ખાતે એક અઠવાડિયા માટે ફિઝિયોથેરાપી નિશુલ્ક રાખવામાં આવેલ છે ઉપરાંત આ વિશેષ દિવસથી સાત દિવસ સુધી પાટણ રેડ ક્રોસ ભવન ખાતે નિશુલ્ક નિદાન નું આયોજન પણ કરવામાં આવેલ છે.
“એક કુંડો – અનેક જીવનોનો સહારો”* એવા ઉમદા સૂત્ર સાથે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓના જીવ બચાવવાના આ નાના પ્રયાસમાં જોડાઈને લોકો પુણ્યનું ભાથું બાંધી શકે તેવો આશય આ આયોજન પાછળ રહેલો હતો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, પાટણ જિલ્લા શાખા ‘માનવતા માટે સેવા – Red Cross સાથે’ ના મંત્રને સાર્થક કરતા આ સેવાકાર્યમાં શહેરના પક્ષીપ્રેમીઓ અને સેવાભાવી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ રેડ ક્રોસ દિવસ, રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસની પૂર્વસંધ્યાએ ગુજરાતના રાજ્યપાલ અને ભારતીય રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ આચાર્ય દેવવ્રતજીએ પણ રાજ્યના નાગરિકોને માનવતાના કાર્યમાં જોડાવા ભાવભરી અપીલ કરી છે. તેમણે રક્તદાતાઓને ‘જીવનદાતા’ ગણાવીને ગુજરાતના યુવાનોને વર્ષમાં ઓછામાં ઓછી બે વાર રક્તદાન કરવા અને તેને જન્મદિવસની પરંપરા બનાવવા આહ્વાન કર્યું હતું.
પોતાના સંદેશમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, “૮ મે એ માનવતાના કેલેન્ડરનો પવિત્ર દિવસ છે. રક્તનું એક યુનિટ થેલેસેમિયા પીડિત બાળકના ચહેરા પર સ્મિત અને અકસ્માત પીડિત માટે નવજીવનની તક બની જાય છે.” તેમણે રક્તદાતાઓ, સ્વયંસેવકો અને શિબિર આયોજકોને આ ચળવળના સાચા ‘કર્મયોગી’ ગણાવ્યા હતા. તેમના પ્રયાસોથી જ આજે ગુજરાતમાં સેવાની સંસ્કૃતિ દ્રઢ બની રહી છે.
વિશ્વ થેલેસેમિયા દિવસના સંદર્ભમાં રાજ્યપાલશ્રીએ ભાવુક અપીલ કરતા કહ્યું કે, “થેલેસેમિયા એ બાળકનું ભાગ્ય નથી, પણ આપણી સામૂહિક જવાબદારી છે. ગુજરાતમાં એક પણ થેલેસેમિયા બાળક સુરક્ષિત રક્તના અભાવે પીડાવું ન જોઈએ.” તેમણે આ બીમારીના નિવારણ માટે લગ્ન પહેલાં થેલેસેમિયા પરીક્ષણ કરાવવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે રેડ ક્રોસના મૂળભૂત સિદ્ધાંતો – માનવતા, નિષ્પક્ષતા અને સ્વૈચ્છિક સેવાને અનુસરવા પર ભાર મૂકતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત સ્વૈચ્છિક રક્તદાન અને થેલેસેમિયા સંભાળ ક્ષેત્રે સમગ્ર રાષ્ટ્રનું નેતૃત્વ કરશે.
પાટણ રેડ ક્રોસ સોસાયટી દ્વારા આયોજિત આ બ્લડ ડોનેશન અવસરે સિનિયર સિટીઝન કાઉન્સિલિંગ ના સેક્રેટરી પ્રહલાદભાઈ પટેલ, મનસુખભાઈ પટેલ, કિરીટભાઈ ખમાર, ડોક્ટર મોહનભાઈ પટેલ, ડોક્ટર મોનીશભાઈ શાહ, નટુભાઈ દરજી વિગેરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ વિશેષ દિવસે આયોજીત બ્લડ ડોનેશન કેમ્પ ખાતે પાટણના સિનિયર સિટીઝન કાઉન્સિલના સેક્રેટરી પ્રહલાદભાઈ પટેલ, ડો. મોનિષભાઈ શાહ સહિતના અગ્રણીઓ તેમજ યુવકો દ્વારા મોટી માત્રામાં બ્લડ ડોનેટ કરી પોતાનો માનવ ધર્મ નિભાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here