મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસની કાર્યવાહી: પાટણના વેપારી પાસેથી લાખો પડાવનાર હનીટ્રેપમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ

મહેસાણા:
મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે હનીટ્રેપ (Honeytrap) દ્વારા નિર્દોષ નાગરિકોને ફસાવી બ્લેકમેલિંગ કરી લાખો રૂપિયા પડાવતી એક સક્રિય ગેંગનો સઘન તપાસ બાદ પર્દાફાશ કર્યો છે. આ ટોળકીએ પાટણના એક વહેપારીને એન્ટિક સિક્કાના બહાને બોલાવી, બંધક બનાવી અશ્લીલ ફોટા પાડી લાખો રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા.
પોલીસની સઘન તપાસ અને કાર્યવાહી
ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને મહેસાણા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલની કડક સૂચના મુજબ, જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને આર્થિક ગુનાઓ આચરતા ઈસમો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સર્વેલન્સની સક્રિય કામગીરી: ફરીયાદીની ફરિયાદ નોંધાયા બાદ, ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ. પારગીના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ સર્વેલન્સ ટીમો બનાવવામાં આવી હતી.
બાતમીના આધારે સફળતા: સર્વેલન્સ સ્કોર્ડના અ.હે.કો. જયદીપકુમાર પ્રભુદાસ અને આ.પો.કો. મનિષકુમાર બાબુભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મહેસાણાથી ઉચરપી ગામ તરફ જવાના રસ્તે હાજર છે. બાતમી મળતાની સાથે જ પોલીસે વોચ ગોઠવી આરોપી પટેલ વિક્રમભાઈ ઉર્ફે વીકી દીપકભાઈ અને વાઘેલા વિમલસિંહ પુનમસિંહને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મુદ્દામાલની રિકવરી: પોલીસે આરોપીઓની આકરી પૂછપરછ અને તપાસ દરમિયાન તેમની પાસેથી ૫૦,૦૦૦ રૂપિયા રોકડ અને ૨ નંગ સોનાની વીંટીઓ રિકવર કરી છે, જેની કુલ કિંમત ૨,૨૫,૦૦૦ રૂપિયા થાય છે.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદથી પાટણ જઈ રહેલા ફરીયાદીને ૧૦ જુલાઈ ૨૦૨૬ના રોજ નયનાબેન નામની મહિલાએ એન્ટિક સિક્કા લેવાનું કહી ખુશ્બુ એપાર્ટમેન્ટમાં બોલાવ્યા હતા. ત્યાં આરતીબેન દ્વારા દરવાજો બંધ કરી, વિક્રમ અને ધર્મેશે ફરીયાદીને માર મારી અશ્લીલ ફોટા પાડી લીધા હતા. આરોપીઓએ ફરીયાદી પાસેથી સોનાની રુદ્રાક્ષની માળા, વીંટીઓ અને રોકડ મળી કુલ ૪,૩૫,૦૦૦ રૂપિયાની મત્તા પડાવી લીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરાર આરોપીઓની શોધખોળ
આ ગુનામાં મુખ્ય સૂત્રધાર ધર્મેશ મનોજભાઈ પંડ્યા, નયનાબેન કીર્તીભાઈ પટેલ અને આરતીબેન શૈલેષજી ઠાકોર હાલ ફરાર છે. પોલીસ દ્વારા આ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
આ સફળ ઓપરેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ. પારગી, પો.સબ.ઇન્સ. જે.આર. જાડેજા તથા એ.એસ.આઇ. કૌશિકભાઈ વિરસંગભાઈ, એ.એસ.આઇ. અજયસિંહ ઉદયસિંહ, અ.હે.કો. જયદીપકુમાર પ્રભુદાસ, અ.પો.કો. પિયુષભાઈ ડાહ્યાભાઈ, અ.પો.કો. સંકેતકુમાર દિનેશભાઈ, અ.પો.કો. કંદર્પકુમાર કિર્તીભાઈ, અ.પો.કો. તરૂણકુમાર કાનજીભાઈ, આ.પો.કો. અબ્દુલગફાર સૈયદઅલી, અ.પો.કો. કલ્પેશકુમાર કેશવલાલ, આ.પો.કો. મનિષકુમાર બાબુભાઈ, અ.પો.કો. ચેતનકુમાર વેલજીભાઈ તથા અ.પો.કો. હાર્દિકકુમાર ભરતભાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રસંશનીય કામગીરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here