મલ્લિકાર્જુન ખડગેના ‘અભણ ગુજરાત’ અને વિવાદાસ્પદ નિવેદન સામે પાટણમાં ભાજપ અગ્રણીનો વળતો પ્રહાર

પાટણ ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ માં ભાજપ ગુજરાત પ્રદેશ સહપ્રવકતા અશ્વિનભાઈ બેંકર ના કોંગ્રેસ અને ખડગે સામે આકરા પ્રહાર.

પાટણ:
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક જાહેર સભામાં ગુજરાતની જનતાને ‘અભણ અને મૂર્ખ’ ગણાવતા નિવેદનથી સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ નિવેદનના વિરોધમાં પાટણમાં ભાજપ અગ્રણીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે ખડગેજી 83 વર્ષના થયા હોવા છતાં તેમણે ગુજરાતનો ગૌરવશાળી ઇતિહાસ વાંચ્યો નથી.
જ્ઞાનની ધરતી ગુજરાત:
પાટણ ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પાટણ જીલ્લા ભાજપ મહામંત્રી લાલાભાઈ દેસાઈ, પાટણ ભાજપ મીડીયા ઈન્ચાર્જ જયેશ દરજીની ઉપસ્થિતિમાં પત્રકારોને માહિતી આપતા ભાજપ ગુજરાત પ્રદેશ સહપ્રવકતા અશ્વિનભાઈ બેંકર જણાવ્યું કે ગુજરાત હંમેશા દેશનું માર્ગદર્શક રહ્યું છે. પાટણની ધરતી પરથી હેમચંદ્રાચાર્યજીએ વર્ષ 1188માં ગ્રંથ રચીને વિશ્વને જ્ઞાન પીરસ્યું હતું. આ ઉપરાંત મહાત્મા ગાંધી, સરદાર પટેલ, વિક્રમ સારાભાઈ, ડો. બાબાસાહેબ આંબેડકર, નરેન્દ્ર મોદી, રતન ટાટા અને ધીરુભાઈ અંબાણી જેવી વિભૂતિઓએ ગુજરાતનું નામ રોશન કર્યું છે.
તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતનો સાક્ષરતા દર માત્ર 35% હતો, જે ભાજપ સરકારના પ્રયત્નોથી આજે વધીને 84% (પ્રાથમિક શિક્ષણમાં 89%) સુધી પહોંચ્યો છે.
કોંગ્રેસનું ફ્રસ્ટ્રેશન અને વિવાદાસ્પદ એનાલોજી:
ખડગેજીએ કુરાનનો હવાલો આપીને ભાજપ અને RSS ને ‘સાપ’ સાથે સરખાવી તેમને મારી નાખવાની વાત કરી હોવાનો આક્ષેપ પ્રેસ કોન્પરન્સમાં પ્રવક્તાએ કર્યો હતો. આ નિવેદન સામે ચાણસ્મા ખાતે એક વકીલ દ્વારા FIR પણ નોંધાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું…
ચૂંટણીમાં જડબાતોડ જવાબ: ભાજપ આગેવાને હૂંકાર કર્યો છે કે આગામી લોકશાહીના પર્વમાં ગુજરાતની શાણી જનતા મતદાન દ્વારા કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે અને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખશે.
કોંગ્રેસના આ ‘વાંઝિયા વિરોધ’ અને ગુજરાત વિરોધી માનસિકતાને જનતા ક્યારેય સ્વીકારશે નહીં તેવું ભાજપ પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here